લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
2475
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી આજના ૬૬માં ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના દિન નિમિતે સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ૧લી મે ૧૯૬૦ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે માત્ર રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ,૧૯૬૦થી ૨૦૦૦ના ચાર દાયકાની ગુજરાતની વિકાસયાત્રા અને વર્ષ ૨૦૦૧ પછીના અઢી દાયકાની અવિરત વિકાસયાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જાેઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે. તેના મૂળમાં આપણને મળેલું નરેન્દ્ર મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો. ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે. જનતા જનાર્દને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીઓમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે.આ પ્રેમનો નત મસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. આજે ‘જ્યોતિગ્રામ યોજના’થી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮,૭૫૦ મેગાવૉટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે.ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ ૪૦ ટકા વધાર્યુ છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે. આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે. આપણે આ સ્ટ્રેન્થને ‘વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ’ આપવા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ શરૂ કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની આવી કોન્ફરન્સને જ્વલંત સફળતા મળી છે, હવે દક્ષિણ ગુજરાત પ્રદેશની વી.જી.આર.સી.નો ગુજરાત સ્થાપના દિવસથી સુરતમાં પ્રારંભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે. એટલું જ નહીં, પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. રાજ્યમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને બે હજુ થવાના છે. સાણંદ અને ધોલેરા સેમિકોન ઈન્ડસ્ટ્રીના હબ બનવાના છે. એઆઈ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા ૬ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ ૨૦૪૭માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત ૨૦૪૭નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યુ છે. ૨૦૪૭ સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ ૨૦૩૫માં ઉજવવાની એક મોટી તક મળી છે. વર્ષ ૨૦૩૫ સુધીમાં આપણે ગુજરાતને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરતમંદ સૌને આયુષ્માન ભારતનું વડાપ્રધાનનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્યધારામા લાવીને ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ‘ગુજરાત ગૌરવ દિવસ’ની અનેક અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય... વંદે માતરમ્...જય જય ગરવી ગુજરાત...