નવી દિલ્હી 

ભારતીય ટીમ કોરોના વચ્ચે પોતાની પહેલી ક્રિકેટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ટીમમાં શુક્રવારે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટેસ્ટ ટીમમાં સામેલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ(26)ના પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં ક્વોરોન્ટાઈન પિરિયડના કારણે સિરાજ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈ શકે. ફાસ્ટ બોલર સિરાજે IPL રમ્યાં બાદ ટીમની સાથે UAEથી સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.

સિરાજ સિડનીમાં ક્વોરોન્ટાઈનમાં પ્રેકટિસ કરી રહ્યાં છે. શુક્રવારે સવારે ટ્રેનિંગથી પરત ફર્યા બાદ તેઓને પિતાના ઈંતકાલના સમાચાર મળ્યા. સિરાજે કહ્યું, "મેં આ સમાચાર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને જણાવ્યા. તેઓએ મને હિંમત રાખવાનું કહ્યું." તેઓએ મને કહ્યું કે ટીમ મારી સાથે જ છે.

સિરાજે 7 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈને ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું, "પિતાની હંમેશાથી એક ઈચ્છા હતી અને તેઓ કાયમ કહેતા કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે. હું પિતાની ઈચ્છાને પૂરી કરીશ."

હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલી ચૌકીથી આવતા સિરાજે કહ્યું, "હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂરુ કરવા માટે ઘણી જ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવી દીધો."