હૈદરાબાદ/મુંબઇ-

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યારે સંપૂર્ણ રીતે થંભી નથી, ત્યાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે સંક્રમિત થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાના આંકડાઓ પર નજર દોડાવીએ તો બે રાજ્યોમાં જ ૯૦ હજારથી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. આવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાે બે રાજ્યોની આ હાલત છે તો આખા દેશમાં શું હાલત થશે? આવામાં એ કહેવું ખોટું નહીં હોય કે દેશમાં ત્રીજી લહેરે પગપેસારો કરી દીધો છે. રિપોટ્‌ર્સ પ્રમાણે કોરોનાના આંકડાઓને જાેઇએ તો મહારાષ્ટ્રમાં દર વખતની માફક ત્રીજી લહેર પણ ખતરનાક સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં ફક્ત મે મહિનામાં ૯ હજાર બાળકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. બાળકોમાં કોરોનાના વધતા કેસોએ હવે સ્વાસ્થ્ય વિભાગના પણ હોશ ઊડાવી દીધા છે. બાળકોમાં કોરોનાના વધતા કેસોને જાેતા અત્યારથી તૈયારી ચાલી રહી છે. તો તેલંગાણામાં માર્ચથી મેની વચ્ચે ૩૭,૩૩૨ બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.

કોરોનાનો હુમલો નવજાત બાળકને લઇને ૧૯ વર્ષ સુધીના બાળકો પર થતો જાેવા મળી રહ્યો છે. તેલંગાણા સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે જેટલી ઝડપથી બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન તેલંગાણામાં ૧૫ ઑગષ્ટથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૧૯,૮૨૪ બાળકો સંક્રમિત થયા હતા. મધ્ય પ્રદેશની સ્થિતિ પણ અત્યારે ઘણી ખરાબ જાેવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધી ૫૪ હજાર બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.રાજસ્થાનમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણ જાેવા મળી રહ્યું છે. ડૂંગરપુર જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ૫૧૨ કોવિડ-૧૯ સંક્રમિત થયા છે. રાજસ્થાન રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ સંગીતા બેનીવાલે જણાવ્યું કે, બાળકોના આ રીતે કોરોના પોઝિટિવ મળવાના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.