પર્યટન વિભાગ ટૂરિસ્ટો માટે ટૂંક સમયમાં જ ગાઈડલાઈન જાહેર કરશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્યટન વ્યવસાયીઓને મોટી રાહત મળી છે. અનલોક ટુની વચ્ચે હોટેલ વ્યવસાયીઓએ સરકાર પાસે આ સંબંધમાં નવી ગાઈડલાઈન જાહેર કરવાની માગ કરી હતી. રાજ્યમાં કેટલીક શરતોની સાથે જ ટૂરિસ્ટ ફરવા આવી શકશે.

તેમાં 5 દિવસનું બુકિંગ અનિવાર્ય હશે અને 72 કલાક પહેલાનો કોવિડ-19નો રિપોર્ટ લાવવો જરૂરી હશે.સરકારના આદેશો અનુસાર, જે પણ પર્યટક ફરવા આવશે તેમની પાસે 72 કલાક પહેલાનો ટેસ્ટ રિપોર્ટ હોવો જરૂરી છે.

આ ટેસ્ટ રિપોર્ટ ICMRમાંથી માન્યતા પ્રાપ્ત લેબોરેટરીનો હોવો જોઈએ. તપાસ રિપોર્ટ સાથે હોય તો પર્યટકોને ક્વોરન્ટાઈન થવાની જરૂર નહીં રહેશે. જોકે, હિમાચલમાં પર્યટકો માટે હોટેલોને ખોલવાને લઈને તમામ માલિકો બે ભાગમાં વહેંચાયા છે. એક ગ્રુપ કહે છે કે, જ્યારે દેશના ઘણા અન્ય રાજ્યો ટૂરિસ્ટો માટે ખુલી ગયા છે, તો હિમાચલે પણ તેની તૈયારી રાખવી જોઈએ.

જ્યારે બીજું ગ્રુપ હજુ થોડો વધુ સમય રાહ જોવાના પક્ષમાં છે. તેમની દલીલ છે કે, કોરોના વાયરસના દર્દીઓના આંકડા જે રીતે વધી રહ્યા છે, તેને જોતા બીજા રાજ્યોમાંથી આવનારા લોકો માટે બોર્ડર ઓપન ના કરવી જોઈએ.

તેને કારણે હિમાચલમાં કોરોનાના મામલા વધી શકે છે, જેન કારણે વધુ નુકસાન થવાનું જોખમ રહેલું છે. જ્યારે પર્યટકોએ ઓછામાં ઓછું 5 દિવસનું બુકિંગ કરાવીને આવવું પડશે. હિમાચલ આવવા માટે તેમણે ઈ-કોવિડ પાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.