દિલ્હી-

દુનિયાભરમાં એક વર્ષથી પણ વધારે સમયથી હાહાકાર મચાવી રહેલા કોરોનાવાઈરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે તમામ દેશોમાં નાગરિકોને આ વાઈરસ-વિરોધી રસી આપવાનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. ભારત પણ એમાં બાકાત નથી. કોરોના-રસીના ડોઝની સંખ્યા વિશ્વસ્તરે ગઈ કાલે એક અબજના આંકને પાર કરી ગઈ છે. આ સાથે એવી આશા બળવત્તર થઈ છે કે આ રોગચાળાને વહેલી તકે અંકુશમાં લાવી શકાશે.

એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, દુનિયાના ૨૦૭ દેશો અને પ્રદેશોમાં શનિવાર, ૨૪ એપ્રિલ સુધીમાં ઓછામાં ૧,૦૦,૨૯,૩૮,૫૪૦ લોકોને કોરોના-વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે. જાેકે બીજી બાજુ આ મહાબીમારીના દૈનિક કેસના આંકડાએ પણ એક નવો વિક્રમ બનાવ્યો છે અને એનું મુખ્ય કારણ ભારતમાં આ રોગાચાળાનો થયેલો વિસ્ફોટક ફેલાવો છે. ગયા શુક્રવારે નવા કોરોના દર્દીઓનો આંકડો ૮,૯૩,૦૦૦ નોંધાયો હતો. ભારતમાં ગઈ કાલે નવા ૩,૪૬,૭૮૬ કેસ નોંધાયા હતા. રોગચાળો ફાટી નીકળ્યો ત્યારપછી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કોરોના-દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. દરમિયાન, ભારત દેશ માત્ર ૯૯ દિવસોમાં ૧૪ કરોડ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપીને આટલા બધા ડોઝ આટલી ઝડપે આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે.