મુંબઈ

સફળતાના ટોચ પર પહોંચેલી અભિનેત્રીના અચાનક ૫ એપ્રિલ ૧૯૯૩ માં મૃત્યુથી દેશવાસીઓને મોટો ઝટકો મળ્યો હતો. બોલીવુડમાં આજે ૮૦ અને ૯૦ના દાયકાની અભિનેત્રીઓને યાદ કરવામાં આવે તો માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કાજોલ, કરિશ્મા કપૂર, દિવંગત અભિનેત્રી શ્રીદેવી તમારી આંખો સમક્ષ આવી જાય ત્યારે આજે પણ એક એવી અભિનેત્રીને ફિલ્મને યાદ કરીએ જેને ફિલ્મ રસીકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ અભિનેત્રી છે દિવ્યા ભારતી. દિવ્યા ભારતીના રહસ્યમય મોતને ૨૮ વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતું આ જાજરમાન અભિનેત્રી આજે પણ લોકોના હ્રદયમાં વસે છે. માત્ર ૧૬ વર્ષની ઉમરે દિવ્યા ભારતીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવ્યા ભારતીએ માત્ર ૧૯ વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કીધુ હતું. દિવ્યા ભારતીના અચાનક મૃત્યુના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાતમાં મૂકી દીધી હતી. ૫ એપ્રિલે દિવ્યા ભારતીની ડેથ એનિવર્સરી હોય છે. દિવ્યા ભારતીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૪માં થયો હતો અને ૫ એપ્રિલ ૧૯૯૩ના દિવસે તેના ફ્લેટની અગાસીમાંથી તે નીચે પડી ગઈ હતી અને તેનું મોત થયુ હતું. ફિલ્મ નિષ્ણાતોના અનુસાર દિવ્યાનું મૃત્યુ મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક પાંચ માળના અપાર્ટમેન્ટમાંથી નીચે પડી જવાથી થયું. ઘણા લોકોએ દિવ્યાના મોતને આપઘાત ગણાવ્યું તો કોઈએ ષડયંત્ર ગણાવ્યું. દિવ્યા ભારતી મૃત્યુ કેસની ફાઈલ પોલીસે વર્ષ ૧૯૯૮માં બંધ કરી દીધી હતી.

દિવ્યા ભારતીની રિષી કપૂર અને શાહરૂખ ખાન સાથેની જોડી સુપરહિટ રહી. દિવ્યા ભારતીએ માત્ર ૧૨ હિન્દી ફિલ્મો કરી પરંતું ૧૨ ફિલ્મોએ તેને સ્ટાર બનાવી દીધી. દિવ્યાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી લાખો લોકોના દિલ જીત્યા. 

દિવ્યા ભારતીનું મૃ્‌ત્યુ થયું તેના એક વર્ષ પહેલા દિવ્યાએ સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે દિવ્યા ગોવિંદા સાથેની શોલા ઔર શબનમ ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. ગોવિંદાએ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે દિવ્યાની મુલાકાત કરાવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારબાદ લગ્ન કરી દીધા. સાજીદ જોડે લગ્ન કરવા માટે દિવ્યાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. બંનેએ ૧૦મે ૧૯૯૨ના દિવસે લગ્ન કર્યા. ઘણા લોકોએ દિવ્યાના મોત માટે સાજીદને જવાબદાર ઠેરવ્યા છે.

દિવ્યા ભારતીએ મુંબઈમાં ૪ મ્ૐદ્ભ ફલેટ ખરીદ્યો હતો. દિવ્યા ભારતી તે જ દિવસે ચેન્નઈથી શુટિંગ પૂર્ણ કરીને મુંબઈ આવી હતી. ત્યારે દિવ્યાના પગમાં ઈજા હતી. રાતના અંદાજે સાડા દસ વાગ્યે મુંબઈના પશ્ચિમ અંધેરીમાં આવેલા વર્સોવામાં તુલસી અપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા દિવ્યા તેના ઘરમાં હતી ત્યારે તેની દોસ્ત અને ફેશન ડિઝાઈનર નીતા લુલ્લા તેના પતિ સાથે મળવા પહોંચી હતી. ત્રણેય મિત્રોએ વાતો કરી હતી અને દારૂનું સેવન કર્યુ હતું. તે સમયે દિવ્યાની નોકરાણી પણ હાજર હતી. રાતના ૧૧ વાગ્યાનો સમય હતો ત્યારે નોકરાણી રસોડામાં કામ કરવા ગઈ, નીતા તેના પતિ સાથે ડ્રોઈંગરૂમમાં ટીવી જોઈ રહી હતી. દિવ્યા તે સમયે તેના રૂમમાં ગઈ. દિવ્યાના રૂમમાં બારી હતી જેમાં ગ્રિલ નહોંતી. બારી પાસે દિવ્યા ઉભી હતી જ્યા તેનું બેલેન્સ હલી ગયું અને તે સીધી જમીન પર પટકાઈ. ૫માં માળથી નીચે પડવાના કારણે દિવ્યા લોહીલૂહાણ થઈ ગઈ હતી. દિવ્યાને હોસ્પિટલમાં લઈ જવાઈ પરંતું દિવ્યાએ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દમ તોડી દીધો. પોલીસે ૫ વર્ષ સુધી દિવ્યાના મોતની તપાસ કરી પરંતું કોઈ ખાસ કારણ બહાર આવ્યું નહીં. પોલીસે દારૂના નશામાં તેનું મૃત્યુ થયું હોવાનું કારણ આપ્યું. હજી સુધી જાણી શકાયું નથી કે દિવ્યાનું મોત કઈ રીતે થયું તે રહસ્ય બની ગયુ છે.