લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2021 |
10098
અમદાવાદ-
તૌઉ-તે વાવાઝોડા ને કારણે ગુજરાતના માછીમારો પાયમાલ બન્યા છે. ત્યારે હવે ખુદ રાજ્ય સરકારના પ્રધાને જ રાહત પેકેજ સામે સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન પુરૂષોત્તમ સોલંકી એ માછીમારો ને સહાય આપવા મુદ્દે સરકારની નિયત સામે સવાલો ઉઠાવ્યા છે.
ભાજપ સરકાર પર પુરૂષોતમ સોલંકીના આક્ષેપ-
પુરૂષોતમ સોલંકી એ આક્ષેપ કર્યો કે, રાજ્ય સરકાર દ્વારા માછીમારો ને યોગ્ય સહાય કરવામાં આવી નથી. જેના કારણે કપરા કાળમાં માછીમારો એ ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. તેમણે કહ્યું કે, " ભાજપ સરકાર માછીમારો ને વધુ આપતી નથી. સરકાર જાહેરાત તો કરે છે. પરંતુ માછીમારો ને પૂરતી સહાય મળતી નથી. વળી સરકારે જાહેર કરેલા પેકેજ ની રકમ ઘણી ઓછી છે. આથી સરકાર માછીમારો ને યોગ્ય સહાય કરે તેવી માંગ પુરૂષોત્તમ સોલંકી એ કરી છે." રાજ્યમાં તાજેતરમાં તૌઉ-તે વાવાઝોડા ને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારા ના સાગરખેડુ-માછીમારોને થયેલા વ્યાપક નુકશાન માંથી તેમને પુન: બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું હતું.