તાલિબાને હિન્દુઓ અને શીખોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2021  |   3267

કાબુલ-

તાલિબાન બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં પાછું ફર્યું છે. આથી, ત્યાંના ભયભીત લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. આ દરમિયાન કેટલાક લોકોએ ગુરુદ્વારામાં આશરો લીધો છે. આ સાથે કાબુલ સ્થિત ગુરુદ્વારાનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં જોવા મળે છે કે, તાલિબાન નેતાઓ કાબુલના ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા હતા. આ વીડિયો દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ શેર કર્યો છે. સિરસાનું કહેવું છે કે, તાલિબાનોએ કાબુલના ગુરુદ્વારામાં આશ્રય લેનારા હિન્દુઓ અને શીખોને મળીને સુરક્ષાની ખાતરી આપી છે. તાલિબાને કહ્યું છે કે, કોઈની સાથે બદલો લેવામાં આવશે નહીં. સિરસાએ વધુમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય પરિવારોએ વડાપ્રધાન કાર્યાલયમાં વાત કરી હતી. ત્યાંથી જાણવા મળ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ દરેકના વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. સિરસાનું કહેવું છે કે, તેમણે કાબુલમાં ગુરુદ્વારા સમિતિના પ્રમુખ ગુરનમ સિંહ સાથે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલયના લોકો તેમના સંપર્કમાં છે અને દરેકના વિઝા પણ મંજૂર કરવામાં આવ્યા છે. હવે કાબુલ છોડવાની રાહ જોવામાં આવી રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution