ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં છે. તેમજ નવી સરકારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે.. સોમવાર અને મંગળવારે મંત્રીઓના કાર્યક્રમ કે બેઠકનું આયોજન નહિં થાય.સાથે અધિકારીઓ પણ ફરજીયાત પોતાની ઓફીસમાં સોમ-મંગળ હાજર રહેશે. તથા આ બન્ને દિવસ પ્રજાના પ્રશ્નો મુદ્દે મંત્રી અને અધિકારીઓ નિવારણ લાવવા કાર્યરત રહેશે. આ સમગ્ર મામલે તંત્ર ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

આજની કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. ઝૂપડા-કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી. ઘેટા-બકરાના 3 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરાયા. અતિવૃષ્ટીથી દૂધાળા પશુનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા સહાય કરાશે. મહત્તમ 5 પશુદીઠ સહાય અપાશે. નવા સુધારાનો લાભ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના લોકોને મળશે.