લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, એપ્રીલ 2026 |
3168
સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન કરવાનું ખોટું વચન આપી યૌન શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે મહિલાને વેધક ટિપ્પણી કરી છે. મધ્યપ્રદેશમાં એક મહિલા લિવ-ઈન રિલેશનશીપમાં એક પુરુષ સાથે ૧૫ વર્ષ રહી હતી, ત્યારબાદ મહિલાએ પુરુષ વિરુદ્ધ યૌન શોષણ સહિતનો આક્ષેપ કરીને પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દેતા મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ બી.વી.નાગરત્ના અને જજ ઉજ્જવલ ભુઈયાની બેંચે મહિલાને સવાલ કર્યો છે કે, જ્યારે પરસ્પર સંમતીથી સંબંધો બંધાયા હોય, ત્યારે તેમાં ગુનો ક્યાં બને? મહિલાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, ‘મહિલાના પહેલા પતિનું નિધન થયા બાદ તેણીના જીજાએ આરોપી સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારપછી આરોપીએ મહિલાને લગ્ન કરવાનું વચન આપી યૌન શોષણ કર્યું હતું.’ તો કોર્ટે કહ્યું કે, ‘મહિલા લગ્ન પહેલા તે પુરુષ સાથે જઈને કેમ રહેવા લાગી? મહિલા પુરુષની સાથે રહી હતી, જેમાં તેમને એક બાળક પણ છે. હવે તે પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો છે, કારણ કે તેઓએ લગ્ન કર્યા નથી અને બંને વચ્ચે કોઈ કાયદાકીય બંધન પણ નથી. લિવ-ઈન રિલેશનશિપમાં આવું જાેખમ તો રહે જ છે, તેથી પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો હતો, તો તે કોઈ ગુનો ન કહેવાય.’ સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે, મહિલા અન્ય કાયદાકીય રસ્તો અપનાવીને બાળક માટે ભરણપોષણની માંગ કરી શકે છે.