સુરત, તા.૩ 

શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનરો શહેરમાં ઠેર-ઠેર લાગ્યા છે. આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ આ બેનરો લગાવવામાં આવ્યા છે.

શહેરમાં આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનર લાગ્યા છે. જેમાં જે કોઈ ને પણ મળે તો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી પણ કરવામાં આવી છે. શહેરનાસરથાણા, સિંગણપોર, કોઝવે, ડભોલી સહિતના મોટાભાગના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. હાલ તો આ બેનરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યા છે. આ બાબતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્ર વધુ અને પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે હું ગાંધીનગર હતો. જેથી હું ગાંધીનગરમાં જ રહ્યો છું. હું ક્યાંય ખોવાયો નથી. આ તો રાજકીય કાવતરુ છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મારા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પોસ્ટરો લગાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન ત્યાં દોડી આવેલા ભાજપના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ધકકા મુક્કી કરવામાં આવી હતી.