વડોદરા-

દિલ્હીમાં એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. ફાયનાન્સરની લાશને સુટકેશમાં ભરીને કરજણ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. પરિણીત ફાઇનાન્સરના યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં યુવતીના બીજા પ્રેમીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગત્ત 14 નવેમ્બરે દિવાળીનાં દિવસે કરજણ રેલવે સ્ટેશન ટ્રેક પરથી એક અજાણ્યા વ્યક્તિની ગળુ કપાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. લાશ નજીકથી પોલીસને એક કાળારંગની સુટકેસ પણ મળી આવી હતી. જો કે આ સુટકેસ લોહીથી ખરડાયેલી હતી. જેથી હત્યા બાદ લાશને સુટકેસમાં મુકીને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવના પગલે વડોદરા રેલવે પોલીસ દ્વારા દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બનાવમાં RPF, સુરત રેલવે પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે ગણતરીનાં દિવસોમાં સમગ્ર કેસને ઉકેલી નાખ્યો હતો. ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઓફીસમાં કામ કરતી ફૈઝલ પઠાણ સાથે તેને ગાઢ પ્રેમ સંબંધો હતા. નિરજ પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા ફૈઝલના ગણાડૂબ પ્રેમમાં હતો. ફૈઝલને તમામ પ્રકારની સવલતો પુરી પાડી દિવસ-રાત તેની સાથે જ રહેતો હતો. બંન્ને કેટલીક હદે પતિ પત્ની તરીકે વ્યવહારીક જીવન જીવતા હતા. 

નિરજ પરિણીત હોવા છતા ફૈઝલ સાથે લગ્નેતર સંબંધો ધરાવતો હતો. જો કે ફૈઝલના પરિવારને તે મંજુર નહોતું. બીજી તરફ ફૈઝલને ઝુબેર પઠાણ નામના યુવક સાથે પણ સંબંધો હતા. જે બાબતે ફૈઝલના પરિવારને જાણ હતી. જેથી બંન્નેની સગાઇની વાતો ચાલી રહી હતી. જો કે ફૈઝલ અન્ય કોઇ સાથે સંબંધ રાખે કે પરણે તે નિરજને મંજુર નહોતું.