વડોદરા -

વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો બુક કરાવનાર 22 લોકો પાસેથી 1.54 કરોડ ખંખેર્યા બાદ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. સાથે વાઘોડિયા પોલીસ મથકમાં બિલ્ડર સંજય રમેશચન્દ્ર શાહ,રાગેશ દ્વારકાદાસ શાહ અને અજય જશવંતલાલ શાહ સામે નિવૃત્ત સરકારી કર્મચારી પ્રબોધચંન્દ્ર માણેકલાલ દવેએ ફરિયાદ નોંધાવી હતી.ગ્રાહકોની ફરિયાદના આધારે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી છે અને અન્ય બે સાગરીતોની ધરપકડ કરવા તેમના નિવાસ સ્થાને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.સંસ્કાર નગરની સ્કીમમાં મકાનો બુક કરાવનારા લોકોની હાલત કફોડી થઇ છે, કારણ કે બિલ્ડરના કહેવાથી મોટાભાગના લોકોએ બેંકમાંથી લોન લઇને બિલ્ડરને પૈસા આપ્યા હતા,પણ હવે મકાનો બંધાયાં નથી અને તેમને મકાનો પણ મળ્યાં નથી છતાં છેલ્લાં 4-5 વર્ષથી આ લોકો બેંકના લોનના હપ્તા ભરી રહ્યા છે.