દિલ્હી-

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી સાંસદો સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આ સિવાય કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર વચ્ચે સંસદની બહાર મૌખિક બોલાચાલી થઈ હતી. બંનેએ એકબીજા પર કૃષિ કાયદાને લઈને સરકારને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. 8 મહિનાથી વધુ સમયથી ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો સતત વિરોધ કરી રહ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન હરસિમરત કૌર બાદલે પણ આ કાયદા વિરુદ્ધ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પણ આ કાયદાઓનો વિરોધ કરી રહી છે. તાજેતરની ઘટનાઓમાં આજે સંસદની બહાર હરસિમરત કૌર બાદલ અને કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે 'અથડામણ' થઈ. બંને વચ્ચે ઉગ્ર શાબ્દિક ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટુએ હરસિમરત કૌર પર પ્રહાર કરતા કહ્યું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા આ લોકો નકલી છે. તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ કાયદા રજૂ કર્યા ત્યારે હરસિમરત કેન્દ્રીય કેબિનેટમાં હતાં. તેમણે બિલનો વિરોધ કર્યો ન હતો. બાદમાં તેમણે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને બિલ મુદ્દે દેખાડો કર્યો.