લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
1485
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારમાં રાજકીય ડ્રામા શરુ થઈ ગયા છે. સુરતના પાટીદાર અનામત આંદોલનના નેતાએ વિધાનસભાની ચૂંટણી આપમાંથી લડ્યા હતા. ત્યારબાદ ભાજપનો ખેસ પહેરી લઈ હવે કોર્પોરેટરની ટિકિટ માટે દાવેદારી કરી છે. જાે કે, તેમના પત્ની આપના કોર્પોરેટર હતા. તેથી એક જ પરિવારના બે સામ-સામે આવે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. જેથી હવે આ મામલે આપના પૂર્વ કોર્પોરેટરે સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ ટિકિટની માંગણી કરી નથી કે ફોર્મ પણ ભર્યુ નથી. આમ તેઓ ચૂંટણી લડશે નહીં. પતિએ ભાજપમાં ઉમેદવારી નોંધાવતા પતિને ટિકિટ મળે તે માટે પત્નીએ બલિદાન આપ્યું હોવાનું ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતમાં અનામત આંદોલન વખતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારે ચર્ચામાં રહ્યા હતા. પાલિકાની થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડ વિધાનસભા માંથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. પાલિકાની આ ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ વોર્ડ નંબર ૩ માંથી ટિકિટ માગી છે. જ્યારે વોર્ડ નંબર-૨માંથી ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે. આ દાવેદારી બાદ આપના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જયારે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે ધાર્મિકની પત્નીએ આપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ટિકિટ પણ માંગી હતી. જાેકે ઉમેદવારી નોંધાવવાની બાકી હતી. જેના કારણે સોસીયલ મીડિયામાં એક જ ઘરમાંથી બે સભ્યો અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે તેવી વાત શરુ થઈ ગઈ હતી. જાે કે, આ અટકળો વચ્ચે મોનાલી હીરપરાએ આજે સોશિયલ મીડિયા ફેસબુક પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘મેં ટિકીટ માટે કોઈ દાવેદારી કરી નથી અને ફોર્મ પણ ભર્યું નથી. છેલ્લા ઘણા સમયથી પરિવારમાં વ્યસ્ત છું, બાળક નાનું છે તેની સારસંભાળ રાખી રહી છું. જેના કારણે ઘણા સમયથી પક્ષના કાર્યક્રમમાં પણ જતી નથી. હું પક્ષમાં જાેડાયેલી છું પણ ટિકિટની માંગણી કરી નથી. ઉલ્લેખનીય છે કે તેમના આ નિવેદન બાદ હવે એક ઘરમાં બે અલગ-અલગ પક્ષના ચૂંટણી લડશે તેનો છેદ ઉડી ગયો છે પરંતુ તેઓએ હજી પક્ષ સાથે છું તેવી વાત કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. પતિ ધાર્મિકને ભાજપમાંથી ટિકિટ મળે તે હેતુ સાથે જ મોનાલી હીરપરાએ પોતાની રાજકીય કારકિર્દીનું બલિદાન આપ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.