લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025 |
રાજકોટ |
11682
ગોંડલ-રાજકોટ હાઈવે પર એસ.ટી બસની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ અકસ્માત ભરુડી ગામના પાટિયા પાસે બન્યો હતો. જેમાં અક્સમાત સર્જાયા બાદ એસ.ટી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મૃતક બાઈક ચાલક હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે દરમિયાન, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારના માથા પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળ પરજ મૃત્યુ થયું હતું.
અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરાર બસ ચાલકની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.