લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
1980
ગુજરાત સહિત ૧૦ રાજ્યની ૨૪ બેઠકો પર રાજ્યસભા ચૂંટણી જાહેર થઈ છે, તેમાં ગુજરાતની ૪ બેઠકનો સમાવેશ થયો છે. ગુજરાતની આ ૪ બેઠકો પૈકી ૩ બેઠક પર ભાજપના અને એક બેઠક પર કોંગ્રેસના સાંસદની આગામી તા. ૨૧ જૂનના રોજ સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. રાજ્યસભામાં ગુજરાતની બેઠક પર પ્રથમ વખત એવું જાેવા મળી રહ્યું છે કે, ઉમેદવારોના ક્વોટા મુજબ વિપક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષ પોતાનો ઉમેદવાર ઉતારી શકે તેમ નથી. જેથી કોંગ્રેસ આગામી રાજ્યસભાની ચાર બેઠક માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં, તેવો ર્નિણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવાયો છે. રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યો રિટાયર્ડ થતા હોય છે. હાલમાં રાજ્યસભામાં ગુજરાતની ૧૧ બેઠકો પર સાંસદો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ૧૧ બેઠકો પૈકી ૪ બેઠકો પરના સાંસદોની મુદ્દત આગામી તા. ૨૧ જૂનના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. જેને લઈને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૦ રાજ્યની કુલ ૨૪ બેઠકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા. ૧ જૂનના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૮ જૂન ૨૦૨૬ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૯ જૂન ૨૦૨૬ના રોજ કરાશે. તો ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા. ૧૧ જૂન ૨૦૨૬ રખાઇ છે. જ્યારે મતદાનની પ્રક્રિયા તા. ૧૮ જૂન ૨૦૨૬ને ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. તેમજ આ જ દિવસે એટલે કે, તા. ૧૮ જૂન ૨૦૨૬ના દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજ્યસભામાં ગુજરાતમાંથી મુદત પૂર્ણ કરનારા સભ્યોમાં (૧) રામભાઈ હરજીભાઈ મોકરિયા, (૨) નરહરી હીરાભાઈ અમીન (૩) શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ અને રમીલા બેચરભાઈ બારાનો સમાવેશ થાય છે. ત્યારે આ વખતે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન થવાના બદલે ચારેય બેઠક ભાજપ તરફી બિનહરીફ થશે તેવું ચિત્ર જાેવા મળી રહ્યું છે. આમ તો રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠક માટેની ચૂંટણી સંખ્યાબળના આધારે સંપૂર્ણપણે ભાજપ તરફી જાેવા મળી રહ્યું છે, તેથી જ આ વખતે વિપક્ષ કોંગ્રેસની ઉમેદવારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભામાં હાલ ૧૮૨ વિધાનસભા બેઠકો છે અને ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી આયોજિત થઈ રહી છે. ચાર બેઠકોમાં એક ઉમેરવાથી પાંચ થાય, આ પાંચ ઉમેદવાર માટે ૧૮૨ને ૫ વડે ભાગવાથી ૩૬.૪નો આંકડો આવે. આ ૩૬.૪ને પૂર્ણ સંખ્યાની રીતે જાેઈએ તો ૩૭ થાય. એટલે કે, રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠક માટેની ચૂંટણીમાં ચારેય ઉમેદવારને વ્યક્તિગત રીતે ૩૭ પ્રેફરન્સ વોટ મળવા જાેઈએ.
વિપક્ષના ગૃહમાં વર્તમાન સ્થિતિ
જાેકે હાલમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ પાસે ૧૨ ધારાસભ્ય છે તો આમ આદમી પાર્ટી-’આઆપ’ પાસે ૪ ધારાસભ્ય છે, ત્રણ અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. આમ કોંગ્રેસ, ‘આઆપ’ અને સપા ઉપરાંત ત્રણ અપક્ષ મળીને કુલ ૨૦ સભ્ય થાય છે. જેથી જાે કોંગ્રેસ કે ‘આઆપ’ને ઉમેદવાર ઊભો રાખવો હોય તો ઓછામાં ઓછા ૩૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. જે કોંગ્રેસ, આઆપ અને સપા તેમજ અપક્ષ મળીને એટલા ધરસભયનું સંખ્યાબળ થતું નથી. જેના કારણે વિપક્ષ કોંગ્રેસ કે ‘આઆપ’ દ્વારા ઉમેદવાર ઊભો રાખવામાં આવે તો તે જીતે તેવી કોઈ સંભાવના કે શક્યતા જણાતી નથી. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવાર ઊભો નહીં રાખવાનો ર્નિણય લેવાયો છે તે સ્વાભાવિક છે. આમ ગુજરાત વિધાનસભામાં ભાજપનું તેમજ વિપક્ષ કોંગ્રેસ, આઆપ સહિતનાનું સંખ્યાબળ જાેતાં રાજ્યસભામાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બને તેવું સ્પષ્ટ ચિત્ર જાેવા મળી રહ્યું છે.