લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2022 |
1089
અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી ઘોંચમાં પડેલ સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરાં બનાવવાના પ્રોજેક્ટને ફરી એએમસી દ્વારા ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવાની કવાયત હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ, શહેરના રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે અનેક આકર્ષણો ઉમેરાયા છે. રિવરફ્રન્ટની બન્ને બાજુ વૃક્ષો વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે. તેમજ સી-પ્લેન સેવા પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ જાેય રાઈડ પણ શરૂ કરવામાં આવી છે તેમજ હવે સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં રિવરફ્રંટને અડીને તરતી રેસ્ટોરન્ટ હવે ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે તેવા એંધાણ મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન’ (એએમસી) વિધાનસભાની ચૂંટણી પહેલા તેને કાર્યરત કરી દેવાના મૂડમાં છે. તરતી રેસ્ટોરન્ટ શહેરીજનો માટે અનોખુ આકર્ષણ બની રહેવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટની પશ્ચિમ બાજુએ ૫૦થી ૧૦૦ વ્યક્તિઓને સમાવી શકે તેવી તરતી રેસ્ટોરન્ટ ઊભી કરવાનો અગાઉ પ્લાન કરાયો હતો. તેની સામે પૂર્વ બાજુના લોકોને વિકાસથી વંચિત રહી ગયા હોય તેવી લાગણી ન અનુભવાય તેથી કોર્પોરેશને બે તરતી રેસ્ટોરન્ટ મુકવાનો વિચાર મૂકાયો હતો. દરમિયાન સાબરમતી રિવરફ્રંટ કોર્પોરેશન લિમીટેડે’ આ પ્રોજેક્ટને આગળ ધપાવવાની પ્રકિયા હાથ ધરી હતી અને રીવર ક્રુઇઝ અને તરતી રેસ્ટોરન્ટ્સને કાર્યરત કરવા માટે ઓક્ટોબર ૨૦૨૧માં દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં કહેવાય છે કે, બે કંપનીઓ આ પ્રોજેક્ટ મેળવવા માટે સ્પર્ધામાં છે. જેમાંની એક ટ્રાવેલ બિઝનેસ સાથે અને અન્ય સ્થાનિક રેસ્ટોરન્ટ ચેઇન છે. જાેકે સુત્રોના જણાવ્યા મુજબ, બન્ને કંપનીઓને ન્યાય મળી રહે તે માટે શહેરના બન્ને કિનારે રેસ્ટોરન્ટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિના સત્તાધિશોએ સાબરમતી રિવરફ્રંટ પર બે તરતી રેસ્ટોરન્ટ સ્થાપવાનું નક્કી કર્યુ છે અને કંપનીઓ દ્વારા મોકલવામાં આવેલા દરખાસ્તોની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે.