લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
2772
ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.