લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026 |
3168
રાજકોટ શહેરમાં ૧૪ મેની મોડીરાત્રે મહાનગરપાલિકા દ્વારા રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ ગણાતા ધાર્મિક દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ જેટલા નાના મંદિરો અને ધાર્મિક માળખાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવતા અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મવડી ચોક નજીક આવેલા કેસરિયા હનુમાન મંદિરને તોડવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને મંદિર બચાવવાની માંગ કરી હતી. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે વહેલી સવારે સુધી ચર્ચા અને રકઝક ચાલતી રહી હતી. સ્થાનિકોએ મંદિરને સંપૂર્ણ તોડવા સામે વિરોધ નોંધાવતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મંદિર સંચાલકો દ્વારા આગામી ૪૮ કલાકમાં મંદિરનું માળખું નાનું કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મંદિરને બદલે રસ્તા પર આવેલા ઓટલા અને આસપાસના ભાગોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જાેવા મળી હતી. લોકોનું કહેવું હતું કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવો જાેઈએ. કેટલાક લોકોએ સત્તાધારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ, ફાયર વિભાગ પીવીસીલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માલવિયાનગર વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વહેલી સવારે સુધી ચાલી હતી.