લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026 |
3366
ભારત-ઓમાન વચ્ચે થયેલો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPAપહેલી જૂન એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ માત્ર સોદો મુક્ત વ્યાપાર કરાર નથી, પરંતુ તેનાથી બંને દેશો વચ્ચે રોકાણ, નોકરીઓ, સેવાઓ અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. ખાસ કરીને ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વર્તમાન તણાવને જાેતાં આ કરાર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને ઓમાન વચ્ચેનો કુલ વેપાર ૧૦.૬૧ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે ૮.૯૪ અબજ ડૉલર હતો. આ વ્યાપારમાં ભારત તરફથી ૪.૦૬ અબજ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ઓમાનથી ૬.૫૫ અબજ ડૉલરની આયાત થઈ હતી. વેપારની સાથે આઇટી, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ જેવા સર્વિસ સેક્ટરમાં પણ ભારતની આવક વર્ષ ૨૦૨૦ના ૩૯૭ મિલિયન ડૉલરથી વધીને વર્ષ ૨૦૨૩માં ૬૧૭ મિલિયન ડૉલર થઈ ગઈ છે. આ કરારની ખાસિયત એ છે કે, હવે ઓમાનના બજારમાં ભારતના લગભગ ૯૯.૩૮% સામાન પર કોઈ આયાત વેરો એટલે કે ડ્યુટી ચૂકવવી નહીં પડે. અગાઉ માત્ર ૧૫.૩૩% સામાનને જ લાભ મળતો હતો. હવે ટેક્સ ફ્રી એક્સેસ મળવાના કારણે ઓમાનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ સસ્તી થશે અને અન્ય દેશોની સરખામણીમાં ભારતીય વેપારીઓ વધુ મજબૂત બનશે.
ઓમાનનું આયાત બજાર ૨૮ અબજ ડૉલરથી વધુનું છે. આ ડીલના કારણે ભારતના એન્જિનિયરિંગ સામાન, મશીનરી, દવાઓ, ખેતી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને દાગીના ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે સ્જીસ્ઈ સેક્ટરની હજારો ફેક્ટરીઓ માટે આ કરાર ગેમચેન્જર સાબિત થશે, જેનાથી દેશમાં ઉત્પાદન વધશે અને નવી રોજગારીની તકો ઊભી થશે. ભારત સરકારે ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખ્યું છે. આ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ, મધ, શાકભાજી, ફળો, ચા, કોફી અને મસાલા જેવા સંવેદનશીલ ઉત્પાદનોને આ કરારથી બહાર રાખવામાં આવ્યા છે, જેથી વિદેશથી આવતી સસ્તી વસ્તુઓના કારણે ખેડૂતોને નુકસાન ન થાય. ભૌગોલિક દૃષ્ટિએ ઓમાનના બંદરો દરિયાઈ તણાવવાળા વિસ્તારોથી બહાર છે. ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ અને ભારતનો અન્ય દેશો સાથેનો વેપાર ઘટ્યો ત્યારે ઓમાનથી આયાતમાં ૨૪૬%નો ઉછાળો આવ્યો હતો.