મા ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર વેદ મંત્ર અને સૂર્ય મંત્ર છે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે. ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. માનવામાં આવે છે કે, ગાયત્રી મંત્રના 24 અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ 24 દેવીદેવતાઓના સ્મરણ બીજ છે.

ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે જો આપ આખા દિવસમાં ત્રણવાર પણ આ મંત્રનો જપ કરો છો તો તમારૂં જીવન સકારાત્મક બને છે. ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે.

ગાયત્રી મંત્ર-ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्। 

 અર્થ :-એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. આ મંત્રનો જાપ કુશનાં આસન પર બેસીને કરવો જોઇએ.તમે જ્યારે પણ આ મંત્રનો જાપ કરવા બેશો ત્યારે તમારી શરીર શુદ્ધિ જરૂરી છે. તમે સ્નાન કરીને જાપ કરવા બેસો.માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છો છો તો 108 મણકાવાળી માળા કરવી જોઈએ. તુલસી અને ચંદનની માળા રાખવી જોઈએ. આ મંત્રને ઝડપથી બોલવો ન જોઈએ. તેના અર્થ અને મહત્વને સમજીને જ તેનો જાપ કરવો જોઈએ.