લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026 |
2277
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે જાેડાયેલા ત્રણ આરોપીઓ સામે અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવી ઝેર આપવાના ગંભીર ઈરાદા સામે આવ્યા છે. આરોપીઓમાં હૈદરાબાદના ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના આઝાદ તથા મોહમ્મદ સુહેલનો સમાવેશ થાય છે. તેમના વિરુદ્ધ યુએપીએ,બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ એરંડાના બીજમાંથી અત્યંત ઘાતક જૈવિક ઝેર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત કેમિકલ તરીકે ઓળખાય છે. આ માટે હૈદરાબાદમાં એક ગુપ્ત પ્રયોગશાળા પણ તૈયાર કરવામાં આવી હતી.
એનઆઇએના અનુસાર, આ કાવતરું વિદેશમાં બેઠેલા આઇએસઆઇએસ હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવાનોને કટ્ટરપંથી બનાવી ભરતી કરવાનું, ભંડોળ એકત્ર કરવાનું અને ગેરકાયદેસર હથિયારો એકત્રિત કરવાનું કામ કર્યું હતું.આ કેસ મૂળ ગુજરાત એટીએસ દ્વારા નવેમ્બર ૨૦૨૫માં નોંધાયો હતો. એટીએસએ પહેલા ડો. મોહિયુદ્દીનને ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો, જ્યાંથી ગેરકાયદેસર હથિયારો અને શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. બાદમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આઝાદ અને સુહેલે રાજસ્થાનમાંથી ડેડ-ડ્રોપ પદ્ધતિ દ્વારા હથિયારો અને નાણાં મેળવ્યા હતા અને તે ગુજરાતમાં પહોંચાડ્યા હતા.ખાસ વાત એ પણ સામે આવી છે કે આઇએસઆઇએસ હેન્ડલરે મોહિયુદ્દીનને દક્ષિણ એશિયાનો “અમિર” બનાવવાનો લાલચ આપ્યો હતો. આ લાલચના કારણે તે આતંકી પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય બન્યો હતો. સુહેલ આ સમગ્ર નેટવર્કમાં મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરતો હતો, જે ભરતી, ભંડોળ અને હથિયારોના સંચાલનમાં સંકળાયેલો હતો. હાલમાં, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને એનઆઇએ અન્ય સંડોવાયેલા લોકોની શોધમાં છે. આ દરમિયાન, અહેમદ મોહિયુદ્દીનને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેના પર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.