12, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2970 |
રાષ્ટ્રપતિ મૂર્મુએ શપથ અપાવ્યા
NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આજે શુક્રવારે દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે હરીફ ।.N.D.I.A બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને હાર આપી હતી. આરએસએસ સાથે જોડાયેલા તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા સીપી રાધાકૃષ્ણનને 451 મત જ્યારે બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો અને સમર્થકોની સંખ્યાને જોતા સીપી રાધાકૃષ્ણનની જીત પહેલાંથી જ નિર્ધારિત હતી. એનડીએ પાસે 427 સાંસદ હતા, આ સિવાય YSR કોંગ્રેસ પક્ષના 11 સાંસદો અને અન્ય પક્ષનું સર્મથન પણ હતું. જેથી તેઓ 377નો આંકડો સરળતાથી પાર કરી ગયા હતા. એનડીએના પક્ષમાં ક્રોસ-વોટિંગના સંકેત પણ જોવા મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત બાદ રાધાકૃષ્ણને ગુરૂવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મૂર્મુએ નવી નિમણૂક માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો કાર્યભાર સોંપ્યો છે. કોયમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન રાજકારણમાં દાયકાથી વધુ સમયથી છે.