મહાભારતમાં કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. પાંડવોએ કૌરવ સેનાના અનેક મહારથીઓનો વધ કરી દીધો હતો. ભીષ્મ પિતામહ બાણની શૈય્યા ઉપર સૂતા હતાં. તે સમયે યુદ્ધના અંતિમ ચરણમાં એક દિવસ યુદ્ધ વિરામ બાદ શ્રીકૃષ્ણ, પાંડવ અને દ્રૌપદી ભીષ્મ પિતામહને મળવા પહોંચ્યાં.
બધાએ પિતામહને પ્રણામ કર્યાં. ભીષ્મને પાંડવો સાથે વિશેષ સ્નેહ હતો. તેઓ તેમને ધર્મ-અધર્મની નીતિઓ જણાવતાં હતાં. આ દરમિયાન દ્રૌપદીએ કહ્યું કે, પિતામહ આજે તમે જ્ઞાનની વાતો કરી રહ્યા છો, પરંતુ તે દિવસે સભામાં જ્યારે મારું ચીરહરણ થઇ રહ્યું હતું, ત્યારે તમે પણ ત્યાં જ હતાં. ત્યારે તમારું આ જ્ઞાન ક્યાં ગયું હતું. મારી મદદ કેમ કરી નહીં. તમારી સામે આટલું મોટું અધર્મ થઇ રહ્યું હતું, તમે તે સમયે ચૂપ કેમ હતાં?
ભીષ્મ પિતામહે કહ્યું કે, પુત્રી હું જાણતો હતો, એક દિવસ મારે આ સવાલનો જવાબ જરૂર આપવો પડશે, જે દિવસે આ અધર્મ થઇ રહ્યું હતું, તે દિવસે પણ મારા મનમાં આ જ પ્રશ્નો ચાલી રહ્યા હતાં. ત્યારે હું દુર્યોધનનું આપેલું અનાજ ખાઇ રહ્યો હતો. તે અનાજ જે પાપ કર્મોથી કમાયેલું હતું. તે અનાજનું ગ્રહણ કરવાથી મારું મન-મસ્તિષ્ક દુર્યોધનને આધીન થઇ ગયું હતું. હું તે દિવસની ઘટનાને રોકવા માંગતો હતો, પરંતુ દુર્યોધનના અનાજે મને રોકી દીધો અને તે અનર્થ થઇ ગયું.
દ્રૌપદીએ કહ્યું કે, આજે તમે જ્ઞાનની વાતો કેવી રીતે કરી રહ્યા છો? દ્રૌપદીના આ સવાલો ભીષ્મએ જવાબ આપ્યો કે, અર્જુનના બાણથી મારા શરીરમાંથી બધું જ લોહી વહી ગયું છે. આ લોહી પણ દુર્યોધનના આપેલાં અનાજ દ્વારા જ બન્યું હતું. હવે મારા શરીરમાં લોહી નથી. હું દુર્યોધનના અનાજના પ્રભાવથી મુક્ત થઇ ગયો છું, એટલે આજે જ્ઞાનની વાતો કરી શકું છું.
Loading ...