ગાંધીનગર- 

કોરોના કાળમાં પણ ગુજરાતના ઉદ્યોગોનો ગ્રૉથ અવિરત રહ્યો છે. આનો સંપૂર્ણ શ્રેય ગુજરાતના સીએમ મુખ્યમંત્રી તેમજ ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગના એસીએસ મનોજ દાસને જાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ વિદેશી મૂડીરોકાણ એ સમગ્ર દેશના રાજ્યોએ મેળવેલા કુલ મૂડીરોકાણના ૫૩ ટકા છે. કોરોના સંક્રમણના સમયમાં પણ ગુજરાતે ઔદ્યોગિક વિકાસમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને આર્ત્મનિભર ભારતના નિર્માણમાં સિંહફાળો આપ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ગુજરાતના વિદેશી રોકાણોમાં ૨૪૦%નો જંગી વધારો થયો છે, જે ભારતના કોઇપણ રાજ્ય કરતાં વધુ છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ડીપીઆઈઆઈટી તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે.

એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (એએસઆઇ) અનુસાર ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત ભારતના ઉત્પાદનમાં ૧૭.૫ ટકાના હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. મનોજ દાસ (એસીએસ, ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ) જણાવ્યુ કે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૨૩ ટકાથી વધારે નોંધાયો છે. જ્યારે ગુજરાતના બંદરો ભારતના કુલ ૪૦ ટકા કાર્ગોનું વ્યવસ્થાપન કરે છે, જે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ સહિતની મહત્ત્વની નીતિઓના કારણે આ શક્ય બન્યું છે.

આંકડાઓ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ (આઇઇએમ) ફાઇલ કરવામાં અને ૨૦૧૯માં નોંધાયેલા વાસ્તવિક રોકાણમાં ગુજરાત આજે પ્રથમ સ્થાને છે. વધુ માહિતી આપતા મનોજ દાસે જણાવ્યું કે- ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના આંકડા પ્રમાણે ભારતમાં મૂલ્યના સંદર્ભમાં આઇઇએમ ફાઇલ કરવામાં અને વર્ષ ૨૦૧૯માં ૪૯ બિલિયન યુએસ ડોલરના પ્રસ્થાવિત રોકાણ સાથે ગુજરાતે ૫૧ ટકા હિસ્સો હાંસલ કર્યો છે. જ્યાં ભારતવર્ષમાં ૨૦૧૯માં પ્રસ્તાવિત રોકાણોમાં ૪૮ ટકાનો વધારો નોંધાયો છે ત્યાં ગુજરાતમાં પાછલા વર્ષ કરતાં ૩૩૩ ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં લગભગ ૧૦૦ ફોચ્ર્યુન ૫૦૦ કંપનીઓ છે.