ગાંધીનગર, રાજ્યના પાટનગરમાં આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને ૧ ડિસેમ્બરથી સાંજે ૪ થી ૭ઃ૩૦ કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન બાદ અક્ષરધામ મંદિરને આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ. જાે કે તે સમે અક્ષરધામમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર મંદિરમાં દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પણ દીવાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જાેતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને ૩૦ નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું.