મોડાસા -

ભારત કૃષિપ્રધાન દેશ છે ખેતી કરનાર ખેડૂતો ખેત પેદાશના પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા આર્થિક નુકશાન વેઠી રહ્યા હોવાથી ખેતીને તિલાંજલિ આપી રહ્યા છે ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાતા અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતોની આવી હાલતમાં સરકારે ખેડૂતો પર રહેલા દેવા નાબૂદ કરવાના બદલે એસેંસિયલ કોમોડીટી એમેન્ડમેન્ટ બીલ- ૨૦૨૦ થી કાયદો બનાવી ૨૨ જેટલી ખેત પેદાશોને આવશ્યક ચીજ માંથી હટાવી લઈ મુક્ત બજારને હવાલે કરી દેશી-વિદેશી કંપનીઓને ખરીદવા- વેચવા ,આયાત-નિકાસ અને અમર્યાદિત સંગ્રહ કરવાની છૂટ આપતા આગામી સમયમાં ખેડૂતોને નુકશાન થતા વધુ હાલત કફોડી બનશે જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી આવેદનપત્ર અરવલ્લી જીલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું

ગુજરાત કિસાન સભા-અરવલ્લી ના સદસ્યોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે એસેન્સીયલ કોમોડીટી એમેન્ડમેન્ટ બીલ -૨૦૨૦ થી કાયદો બનાવી રર - જેટલી જણસીઓ આવશ્યક ચીજોમાંથી મુક્ત થતાં આ ખેત જણસીઓને કેન્દ્ર સરકારની એમ.એસ.પી. યોજનાની છત્રછાયા ઝુંટવાઈ જશે એવું ખેડૂતો માની રહ્યાં છે. આવશ્યક ચીજો દેશની જનતાની જરૂરિયાત માટે હોય સરકાર રાસાયણિક ખાતર - બિયારણ અને અન્ય સહાયોની સબસીડી સરકાર ધીમે ધીમે બંધ કરી દેશે જેનાથી ખેડૂતોની ખેતી વધુ સંકટગ્રસ્ત બનશે. આવશ્યક ચીજોના ભાવ પોષણક્ષમ બને તે અંગે એમ . એસ.પી. લઘુત્તમ ટેકાના ભાવ સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ આપવાને બદલે સરકારે બનાવેલ કાયદાથી સરકાર લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી બંધ થશે તો ખેડૂતો કંપનીઓના વેપારથી શોષણનો ભોગ બનશે . 

ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવા એમ.એસ.પી. સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ આપવા કાયદાકીય રક્ષણ મળવું જોઈએ એવી માંગ સાથે ગુજરાત કિસાન સભા સમિતિમાં જોડાયેલ તમામ ખેડૂતો સંગઠનો દ્વારા આજ દિન ૧૪ ઓક્ટોબર -૨૦૨૦ ના રોજ એમ.એસ.પી. અધિકાર દિવસની માંગ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓની અમલવારી અટકાવે તે ખેડૂતોના હિતમાં જરૂરી હોવાનું જણાવ્યું હતું