લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026 |
1980
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તેની સાથોસાથ સંસ્કૃત પ્રથમાનું પણ પરિણામ જાહેર કરાશે, આ પરિણામ જાહેર થતાંની સાથે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. ગઇકાલે ધોરણ ૧૨ના તમામ પ્રવાહોના પરિણામ જાહેર કરાયા બાદ આવતીકાલે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઘેર બેઠા ઓનલાઈન મોબાઈલ પર પણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કરાઇ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ ૧૦ (એસએસસી)નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૬ મેને આવતીકાલે સવારે ૮ વાગ્યે એસએસસીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઑનલાઇન ચકાસી શકશે. તેના માટે જીએસએચએસઇબીની અધિકૃત વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર સીધી લિંક ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાની માર્કશીટ જાેઈ શકશે અને ચકાસી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને વધુ એક સરળ વિકલ્પ પણ આપ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકશે. તેના માટે ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર પોતાનો બેઠક નંબર મોકલતાં જ પરિણામ ફોન પર મળી જશે. ખાસ કરીને જ્યાં ઈન્ટરનેટની સગવડ ઓછી છે, ત્યાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત ધોરણ ૧૦નું પરિણામ જ નહીં, પરંતુ તેની સાથે સંસ્કૃત પ્રથમ વિષયની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થવાનું છે. આથી સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં કુલ ૧૫.૨૭ લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમાં ધોરણ ૧૦ માં ૯.૦૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા હતા, જ્યારે ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં ૧.૧૯ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૫.૦૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.