લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026 |
4158
ગુજરાતમાં ધોરણ-૧૦ એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ ૮૩.૮૬% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૮.૨૮% રહી વિદ્યાર્થીઓ કરતાં ૮.૧૬% આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો ૯૦.૮૫% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું ૭૬.૪૨% નોંધાયું છે. વલસાડના અબ્રામા ધારાનગની બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. વલસાડની દીકરી માર્ગી વેકરીયાએ રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગાંધીનગના આજાેલ કેન્દ્રે ૧૦૦% પરિણામ મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે, દાહોદના મુનખોસલા કેન્દ્રનું પરિણામ ૩૩.૭૪% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ ૭,૫૬,૩૯૨ નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૬,૩૪,૩૨૭ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં ૧,૬૯૭ શાળાઓએ ૧૦૦% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે ૩૯ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૫૦% અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૨.૬૭% નોંધાયું છે. બેઝિક મેથ્સમાં ૧,૦૬,૫૦૪ અને વિજ્ઞાનમાં ૯૪,૬૪૫ વિદ્યાર્થીઓ નાપાસ થતાં સાયન્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે.