04, જુલાઈ 2024
2871 |
બેરૂત: દુનિયા પહેલેથી જ બે યુદ્ધોથી ઝઝૂમી રહી છે, ત્યારે હવે વધુ એક સંઘર્ષના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન લેબનીઝ સંગઠન હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના સૈન્ય મથકો પર ૨૦૦થી વધુ રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે તેના કમાન્ડરના મૃત્યુનો બદલો લીધો છે. એવી આશંકા છે કે બંને પક્ષો સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરી શકે છે. જાે આમ થશે તો મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાનો ભય રહેશે. આને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા છે.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડરનું મૃત્યુ થયું હતું. ઇઝરાયેલી સેનાએ ગઈકાલે બુધવારે સ્વીકાર્યું હતું કે તેણે એક દિવસ અગાઉ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના પ્રાદેશિક વિભાગનું નેતૃત્વ કરનાર મોહમ્મદ નેમેહ નાસરને ઠાર માર્યો હતો. આ પહેલા પણ ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાના કમાન્ડરોના મૃત્યુ નિપજાવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (ૈંડ્ઢહ્લ) એ હિઝબુલ્લાહના અલ-હજ રદવાન ફોર્સના સેન્ટ્રલ કમાન્ડર અલી મુહમ્મદ અલ-દબ્સની હત્યા કરી હતી. અલી મુહમ્મદ અલ-દબ્સ ઉત્તરી ઇઝરાયેલમાં મેગિદ્દો જંકશન પરના હુમલામાં સામેલ હતો. આ પછી જૂન મહિનામાં પણ ઈઝરાયેલે હિઝબુલ્લાહના વધુ એક કમાન્ડર સામી અબ્દુલ્લાને પણ ઠાર કર્યો હતો. ઇઝરાયેલ પરના તાજેતરના હુમલા બાદ હિઝબુલ્લાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમારા કમાન્ડરના મૃત્યુના જવાબમાં અમે ગોલાન હાઇટ્સમાં ૨૦૦ રોકેટથી ઇઝરાયેલના પાંચ સૈન્ય મથકો પર હુમલો કર્યો છે.’
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ ઈરાન સમર્થિત હિઝબુલ્લા ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. જાે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંને તરફથી હુમલામાં વધારો થયો છે. વાસ્તવમાં, ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડરના મૃત્યુ બાદ હિઝબુલ્લાએ પણ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ પર મોટી સંખ્યામાં રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા. ઇઝરાયેલે સંકેત આપ્યો છે કે તે હમાસ વિરુદ્ધ અભિયાન સમાપ્ત થયા બાદ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઘણા નિષ્ણાતો માને છે કે જાે હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર હુમલો કરે છે, તો પ્રદેશના અન્ય બળવાખોર સંગઠનો પણ તેમાં જાેડાઈ શકે છે. યુરોપને ડર છે કે જાે આમ થશે તો તેનાથી શરણાર્થીઓની સમસ્યામાં વધારો થશે અને મોટી સંખ્યામાં લોકો આશ્રય માટે યુરોપિયન દેશો તરફ વળી શકે છે.