લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
1683
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ‘ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ જીઆઇબી શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્યજીવ પર્યાવરણ જતન સંકલ્પને વધુ દૃઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.