રૂપાણી સરકારે પાંચ વર્ષમાં પ્રજાલક્ષી પાંચ સારા નિર્ણયો કર્યા હોત તો ઉજવણી ના કરવી પડતી: જયરાજસિંહ પરમાર
22, જુલાઈ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારે પાંચ વર્ષમાં પાંચ સારાં પ્રજાલક્ષી નિર્ણયો કર્યા હોત તો સરકાર દ્વારા ઉજવણી કરવી ન પડત. જો સારાં કાર્યો કર્યા હોત તો ખુદ જનતા જ ફટાકડાં ફોડીને સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરતી હોત, તેવું ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા જયરાજસિંહ પરમારે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, બેરોજગાર યુવકો- યુવતીઓ ગાંધીનગરમાં તેમનો હક્ક માંગવા આવે ત્યારે લાઠીઓ વીંઝ્યા બાદ પણ જો તમે હરખાતા હોવ તો એ શરમજનક છે. પાંચ વરસમાં પચાસ હજાર બેરોજગારોની સરકારી રાહે ભરતી કરવામાં આવી હોત તો વિજયભાઈ આ ઉજવણી તમારે ન કરવી પડત. પરંતુ રાજ્યના યુવાનો ખુદ તમને ખભે બેસાડીને હરખ બતાવતા હોત. ખેડૂતોને પાક વીમાના પુરા પૈસા ચૂકવાઈ ગયા હોત તો આજે ઢોલ નગારા ખેડૂતો વગાડતા.

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, પાંચ વરસ તો છોડો, ભાજપના પચીસ વરસના શાસન બાદ કોરોના મહામારી વચ્ચે સરકારી અવ્યવસ્થાએ જે મોતનુ તાંડવ સર્જ્યુ, એ પછી આ ઉજવણી કરવાનું સુઝે તે કેટલું નિર્દયી વલણ? દવાઓ, ઓક્સિજન, ઈન્જેક્શનના અભાવે મોતને ભેટ્યા પછી સ્મશાનમાં લાકડા માટે ટળવળતી પ્રજાની પીડાને ના સમજો તો વાંધો નહી, પણ તેના ઉપર ઉત્સવો તો ના મનાવો ! દવાખાનાની લાઇનો તો ઠીક સ્મશાનમાં પણ ટોકન આપવા પડે તે પછી ઉજવણી કરવી એ રાક્ષસી આનંદ નહી તો બીજુ શું?

વિજયભાઈ હેલ્મેટ પહેરાવવી કે નહી? સ્કૂલો ખોલવી કે નહી, ફી ઘટાડવા શું કરવું, રથયાત્રા કાઢવી કે નહી, નવરાત્રી વેકેશન આપવું કે પાછુ ખેંચવુ, ક્રિકેટ મેચ રમાડવી કે નહી? જેવા બધા નિર્ણયો કાં તો અદાલતો પર છોડ્યા અથવા અન્યો પર. આ અનિર્ણાયકતાની ઉજવણી કરશો ?

વિજયભાઈ તમે એન.આર. અને સી.આર.ની રસ્સાખેચ વચ્ચે જેમ તેમ કરી એમના મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ પૂરાં થયા એનો આનંદ કરતાં પહેલાં મોઘવારી, બેકારી, કથળેલી આરોગ્ય સેવાઓ, કથળતા અને મોંઘા થતાં શિક્ષણ વચ્ચે પીસાતી પ્રજાનું ભલુ કરો તો ઉજવણી લેખે લાગે તેમ પણ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution