લોકસત્તા ડેસ્ક

શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ, જેને ફોલો કરીને તમે સહેલાઇથી તમારા પગના વાઢિયાને મટાડી શકશો. તો ચાલો જોઇએ કયા છે તે ઘરેલું ઉપચાર..

– દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી. ત્યારબાદ એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

– તે સિવાય હળદર, તુલસી અને એલોવેરાનો લેપ બનાવી એડી પર લગાવવો જોઇએ. જેની બહુ જલદી અસર જોવા મળે છે આ ઉપાય તમે ઘરે સહેલાઇથી કરી શકો છો.

– લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક-એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો. જેનાથી સતત થોડાક દિવસમાં વાઢિયાની સમસ્યાથી રાહત મળી શકે છે.

– જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી રૂના પૂમળાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

– દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં એડી પરના ચીરા રૂઝાઈ જશે.

– પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.

– પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલા ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં મદદરૂપ મળે છે.