અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં ૨૨ જિલ્લામાં હયાત ૩૪ રથમાં વધુ ૨૦ રથ ઉમેરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, ૫૦૦૦ ઈન્જેકશનની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન નથી આપતી, અને આપવાની પણ નથી. સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામા આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક ર્નિણય કરવામાં આવે છે.

સુરતમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે લોકો માટે રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા, તે અંગે સવાલ પૂછતા મુખ્યમંત્રીએ એવુ કહ્યુ કે, એ તો સીઆર ને ખબર, સીઆરને પૂછો. પરંતુ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને ૫૦૦૦ રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. સરકાર ઉંચા ભાવે ખરીદી શકે તે મથી. અમે માટે એજન્સી તરીકે કિરણ હોસ્પિટલને મદદ કરી છે. એ હોસ્પિટલ કેવી રીતે અને

કોને આપે તેની સાથે સરકારને કંઈ લેવાદેવા નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે. આમ, મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી. જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું.

તેમણે કહ્યું કે, સરકાર કોરોના પર કન્ટ્રોલ લાવવા કટિબદ્ધ છે. ગયા નવેમ્બરમાં કોરોના પિક પર હતો, તો ૧૮૦૦ થી વધુ કેસ ન હતા. હમણાં ૪૫૦૦ થી વધુ કેસ આવી રહ્યા છે. ૧૫૦૦૦ થી વધુ બેડ વધાર્યા છે, ૬૭૦૦ થી વધુ ઓક્સિજન બેડ વધાર્યા છે. લોકોને વિન્નતી કરું છે, શક્ય બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. માસ્ક ફરજિયાત પહેરો. વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા લોકો સમજે. સરકારને માસ્કનો દંડ ઉઘરાવવામાં કોઈ જ રસ નથી. માસ્ક પહેરો, કોઈ દંડ નહિ થાય. હાઇકોર્ટેના આદેશ બાદ માસ્ક મામલે કડક કાર્યવાહી કરવી પડી છે. રેમડેસીવીર ઈન્જેકશનની સતત માંગ છે. સરકાર પૂરો પુરવઠો આપી રહી છે. ૩ લાખ નવા ઈન્જેકશનનો ઓર્ડર આપ્યો છે. પણ કોરોનાના દરેક દર્દીને ઈન્જેકશન લેવાની જરૂર નથી. તેનો સ્ટોક કરવો પણ યોગ્ય નથી. નિષ્ણાત તબીબોના માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે. ટેસ્ટીંગ ઉપર પણ બ ભાર મૂક્યો છે. મહત્તમ ટેસ્ટીંગ ના કારણે જ આજે લોકો સંક્રમિત હોવાનું સામે આવી રહ્યું છે.