16, જુલાઈ 2025
નવી દિલ્હી |
2772 |
21 જૂલાઈથી 21 ઓગષ્ટ સુધી ચાલનાર સત્રમાં 16 બિલ પસાર થશે
સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી 1 મહિનો ચાલશે. અગાઉ આ સત્ર 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ બાદમાં તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. સરકાર સંસદના ચોમાસુ સત્રમાં 8 નવા બિલ લાવી રહી છે. જેમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ રજૂ કરવામાં આવશે. રમતગમત સંગઠનોમાં સુશાસન લાવવા અને વિવાદોના ઉકેલ માટે એક પદ્ધતિ બનાવવાની જોગવાઈ કરવામાં આવશે.
ઉપરાંત આ સિવાય ચોમાસુ સત્રમાં ખાણ અને ખનિજ સુધારા બિલ, ભૂ-હેરિટેજ સાઇટ્સ અને ભૂ-વિરાસત સંરક્ષણ અને જાળવણી બિલ, IIM સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, મણિપુર GST સુધારા બિલ, કરવેરા સુધારા બિલ અને જન વિશ્વાસ સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર દરમિયાન કુલ 16 બિલ પસાર થવાના છે, જેમાં લોકસભા અને રાજ્યસભામાં પેન્ડિંગ ત્રણ બિલનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે અને રાજ્યસભામાં પેન્ડિંગ છે, જ્યારે ત્રણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે અને ત્યાં પેન્ડિંગ છે.
આ ઉપરાંત, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધારવાનો પ્રસ્તાવ પણ છે. બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો દર છ મહિને સંસદ દ્વારા મંજૂર કરવો પડે છે. વર્તમાન સમયગાળો 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. આ સિવાય મણિપુરની ગ્રાન્ટ માગણીઓ સાથે સંબંધિત વિનિયોગ બિલ પણ સંસદમાં લાવવામાં આવશે, જે રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન સાથે સંબંધિત છે.
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન, સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 13 અને 14 ઓગસ્ટે કોઈ બેઠક નહીં થાય. સત્ર દરમિયાન કુલ 21 બેઠકોનો પ્રસ્તાવ છે. સત્ર દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલો, ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. કોંગ્રેસ પાર્ટી અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા કરવાના ચૂંટણી પંચના પગલા સામે વિરોધ પક્ષો સખત વાંધો ઉઠાવી શકે છે.