મુંબઇ-

મુંબઇમાં ભારે વરસાદે ફરી એક વખત કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. માયાનગરીના લોકો સંપૂર્ણ રીતે પરેશાન થઇ ગયા છે. ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં ૧૨ કલાકમાં ૨૯૩.૮ મીમી વરસાદ નોંધાયો. ૪૬ વર્ષ બાદ આવો વરસાદ પડયો છે. ૧૯૭૪માં આવો નજારો જોવા મળ્યો હતો. મુંબઇમાં ૪ મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. સરેરાશ કોલાબા અને શાંતાક્રુઝમાં સરેરાશ ૨૦૬૬ મીમી અને ૨૨૬૦ મીમી વરસાદ નોંધાયો હોય છે તેને બદલે અત્યાર સુધીમાં કોલાબામાં ૨૩૦૧.૮ મીમી અને શાંતાક્રુઝમાં ૨૩૩૮.૨ મીમી વરસાદ પડી ગયો છે.

ભારે વરસાદને કારણે ચર્ચગેટ, મરીન ડ્રાઇવ, બ્રીચ કેન્ડી જેવા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. ૧૦૦ કિમીની ઝડપે ફુંકાયેલા પવને ખાનાખરાબી સર્જી છે. લોકોને ઘરોની બહાર નહિ નીકળવા તાકીદ કરાઇ છે. કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં બુધવારે અતિભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બુધવારે ભારે વરસાદ સાથે ૧૦૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. 

મુંબઈના સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ સર્કલ, અંધેરી ઈસ્ટ, સાંતાક્રુઝ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ટ્રેનો પણ ટ્રેક પર ફસાઈ ગઈ હતી જેના કારણે પેસેન્જર્સ પણ ફસાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે મસ્જિદથી ભાયખલા સ્ટેશન વચ્ચે ફસાયેલા ૪૦ લોકોને બચાવ્યા હતા. ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બે ટ્રેનો ફસાઈ ગઈ હતી. 

બે ટ્રેન ફસાઈ ગઈ હતી જેમાં એક સીએસટીથી કર્જત જઈ રહી હતી જેમાં ૧૫૦ જેટલા લોકો ફસાયા હતા. બીજી ટ્રેન કર્જતથી સીએસટી જઈ રહી હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. અતિ ભારે વરસાદના કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પાલઘર, મુંબઈ, નાગપુરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ અને ભારે પવનના કારણે ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. 

હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ બીએમસીને હાઈ એલર્ટ પર રહેવાનું કહ્યું છે. તેમણે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ટ્રેક પર પાણી ભરાવવાના કારણે સેન્ટ્રલ રેલવેના મસ્જિદ અને ભાયખલ્લા સ્ટેશનો વચ્ચે બે ટ્રેનો ફસાઈ ગઈ. NDRF અને રેલવે સુરક્ષા દળ ( RPF )એ બે લોકલ ટ્રેનોમાં ફસાયેલા ૨૯૦ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મધ્ય રેલવેના મુખ્ય પ્રવકતાએ આ જાણકારી આપી. 

આ બાજુ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતનો વરસાદ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું છે. પીએમ કાર્યાલયે એક ટ્વિટમાં જણાવ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે સાથે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર વાત કરી. આ બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે પણ બુધવારે મોડી રાતે કહ્યું કે ઠાકરેએ ભારે વરસાદના સમયમાં નાગરિકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પીએમ મોદીને જાણ કરી છે. 

આ બધા વચ્ચે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ રાજયના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે સહિત અન્યે કેટલાક લોકો અહીં ઈસ્ટર્ન ફ્રીવે પર ટ્રાફિકમાં લગભગ સાડા ત્રણ કલાક ફસાયેલા રહ્યાં. તેઓ ત્યાં યશવંતરાવ ચૌહાણ કેન્દ્રમાં એનસીપી નેતાઓની એક બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. મુંડેના નજીકના સૂત્રોએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે મંત્રીજીનું વાહન ફ્રી વે પર ટ્રાફિક જામમાં ફસાઈ ગયું. તેઓ ત્યાંથી બેઠકમાં લગભગ સાડા ત્રણ કલાક બાદ પહોંચી શકયાં. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં આગામી ૨૪ કલાકમાં મૂશળધાર વરસાદની ચેતવણી આપતા રેડ અલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ ઉપરાંત ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરી છે.