વડોદરા : ગુજરાતી સાહિત્ય જગતનો ઝળહળતો તારલો એવા ખલીલ ધનતેજવી કે જેમનું મૂળ નામ છે ખલીલ ઇસ્માઇલ મકરાણીએ આજે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ખલીલ ધનતેજવીની વરવી વિદાયથી ગુજરાતના સાહિત્ય જગતમાં રીતસરનો સોપો પડી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરી સદગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ ૧૨મી ડિસેમ્બર ૧૯૩૫માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ ૪ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેમનું નામ ખુબ જ જાણીતુ હતું.

ખલીલ ધનતેજવીના ગઝલસંગ્રહમાં સાદગી, સારાંશ, સરોવરનો સમાવેશ થાય છે. તો ડો. રેખા, તરસ્યાં એકાંત, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લીલા પાંદડે પાનખર, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો નામની જાણીતી નવલકથાઓ છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

અગાઉ ખલીલભાઈ પત્રકાર હતા

પ્રારંભમાં ખલીલભાઈ લોકસત્તા દૈનિકના સાવલી વિસ્તારના ખબરપત્રી હતા.અને વડોદરા સ્થાયી થયા બાદ તેઓ લોકસત્તાની વડોદરા આવૃત્તિમાં જાેડાયા હતા. ખબરપત્રી તરીકે તેઓ ગામના સમાચારો લખીને તેઓ વડોદરા લોકસત્તાને મોકલતા. તેમના મોકલેલા સમાચારો છપાતા પણ હતા.એક વખત એમના ગામમાં કોઈના ઘરે મહેમાન આવ્યા. રાત્રે મહેમાન જ ચોરી કરીને જતા રહ્યા ખલીલ ધનતેજવીને ખબર પડી, તેમણે તો સમાચાર લખીને મોકલી દીધા અને સમાચાર છપાઈ પણ ગયા. પોલીસે જેના ઘરે ચોરી થઈ હતી તેમને અને ખલીલ ધનતેજવીને બોલાવ્યા. પીએસઆઈએ બધાને ખૂબ ખખડાવ્યા, તેમણે ખલીલ ધનતેજવીને કહ્યું કે પોલીસમાં રિપોર્ટ ના લખાયો હોય તો તમે સમાચાર શી રીતે છપાવી શકો ? તેમણે જવાબ આપ્યો કે એ મારી જવાબદારી નથી. મારા માટે જે ઘટના બની તેમાંથી સમાચાર બનતા હતા એ મહત્વનું છે. પોલીસે કહ્યું, એમ કઈ રીતે તમે સમાચાર બનાવી શકો ? લેખકે જવાબ આપ્યો, બનાવી શકાય, અત્યારે આપણી જે મિટીંગ થઈ તેના પણ સમાચાર બની શકે. પોલીસે તરત તેમને જવા દીધા.

‘ કલમ’ જેમના માટે‘તસબી’ હતી એવા‘ ખલીલ’ એટલે ગુજરાતી-ઉર્દુ ગઝલનો પર્યાયવાચી શબ્દ

• અનિલ દેવપુરકર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાદર સમા ધનતેજ ગામની ધૂળથી ભરેલું માથું અને હળ જાેડી જાેડીને નાની વયે પાકટ થવા માંડેલા ખોબામાં હસ્તરેખાઓનું પોટલું લઈ એ વડોદરા આવ્યા. આંખોમાં હતું સ્વપ્નોનું ઘટાટોપ જંગલ અને હૈયામાં સર્જનશીલતાનું ઘોડાપૂર.

એમનું નામ ખલીલ ધનતેજવી. એક વખતના ઓળખ વગરના એમને ઓળખતા હોવાનો દાવો કરનારાઓનો અને એમના એક એક શેર પર આફરિન પોકારનારા ચાહકોનો આજે રાફડો ફાટ્યો છે – અને એ સ્વાભાવિક પણ છે. ખાખી બીડીના કસ ખેંચતા ખેંચતા ક્યાંક અપલક તાકી રહેલી આંખોમાં એક પછી એક શેર આળસ મરડતા અને એ જ્યારે કાગળ પર ઉતરે ત્યારે સંપૂર્ણ ગઝલ સ્વયં એમને કૂરનિશ બજાવતી હોય એમ પવનના ઝોકે ફરફરતી.

ખલીલ હવે ખાસ કરીને ગુજરાતી ગઝલનો પર્યાયવાચી શબ્દ છે.

મારી કિશોરાવસ્થાથી માંડી છેક હમણાં સુધી યાકુતપુરાની કોઈ બંધ દુકાનના ઓટલે આખી આખી રાત માણેલી એમની સંગત હવે માત્ર

સ્મૃતિના પટારામાં કેદ થઈને રહી જવાની.

માત્ર ગઝલ જ નહીં,વાર્તા-નવલકથા-નાટકો-પત્રકારત્વ અને કથા-પટકથા-સંવાદો સહિતની સંખ્યાબંધ ફિલ્મોની સંપૂર્ણ સ્ર્કિપ્ટ સુધીના સાહિત્ય-કલાવિશ્વનો સ્વબળે સિધ્ધિ પામેલો પ્રવાસી એટલે ખલીલ ધનતેજવી.

ચાની ટપરીથી માંડી વૈશ્વિક કક્ષાના મુશાયરાઓના મંચ પરથી એના ઘટાદાર અવાજમાં એ મત્લો ઉપાડે અને ઉપસ્થિત તમામ શ્રોતાના કાનની બૂટ એના શબ્દેશબ્દને સમેટીને અંદર ઠાલવી લેવા ખડેપગે સજ્જ થઈ જાય.કતારબંધ મોજાઓની જેમ ગઝલના એક પછી એક શેર પુરા થાય અને મક્તાની સાથે તો તાળીઓના ગડગડાટ- દુબારા..દુબારા... ની સામુહિક ફરમાઈશો સાથે આખો હોલ ગુંજી ઉઠે.ખલીલભાઈની અસરદાર રજુઆતશૈલિમાં ભીંજાયેલો એક એક શ્રોતા,એક એક ચાહક આજે ખલીલભાઈની વિદાયના સમાચાર સાંભળી અશ્રુથી પોતાની આંખો ભીંજવી રહ્યો છે.

છેલ્લા લગભગ ૪૦ વર્ષથી મારા અંગત સહ્રદયી વડિલ મિત્ર તથા સંવેદનશીલ સર્જકસાથી એવા મરહૂમ ખલીલ ધનતેજવીની દુઃખદ વિદાય ટાણે હાલ તો માત્ર એટલો સંતોષ લઈ શકાશે કે,

ખલીલ ભલે સદેહે નહીં,પણ શબ્દરૂપે તો મળશે

નવી પેઢીના શાયરમુખે એ ફરી ફરી અવતરશે.

એવી આશા અને અલ્લાને ઈબાદત સાથે જન્નતનશીન ખલીલસાહેબ ને સજળ આંખે અલવિદા...