પોષી પૂનમના દિવસે છે વર્ષમાં ફક્ત એક વાર આવતો મહાસિદ્ધિદાયક યોગ, જાણો વધુ
27, જાન્યુઆરી 2021 594   |  

૨૮ જાન્યુઆરી-ગુરુવારના પોષ માસની પૂર્ણિમાના પવિત્ર દિવસે ચંદ્રનો પુષ્ય નક્ષત્રમાં યોગસ્વરૃપ ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ થાય છે. તેની સાથે ચંદ્રથી ગુરુ સાતમે હોવાથી ગજકેશરી યોગ પણ બને છે, આ યોગ મહાસિદ્ધિદાયક ગણાય છે. મંત્રસાધના માટે પુષ્યનક્ષત્રની સાથે રવિવાર કે ગુરુવાર શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ ગુરુવાર વધુ મહત્વનો ગણાય છે.

પોષ સુદ-પૂનમના વહેલી સવારે ૩:૫૦ મિનિટે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને રાત્રે ૧૨:૪૬ મિનિટ સુધી રહે છે. 'આ સમયગાળા દરમિયાન ચંદ્રની સામે અર્થાત્ સાતમે ગુરુ-સૂર્ય-શુક્ર અને શનિ પણ છે તેથી ગુરુ-ચંદ્રનો ગજકેશરી યોગ પણ થાય છે. પોષ મહિનાનું પુષ્ય નક્ષત્રના નામ ઉપરથી પડયું છે. આમ તો દર મહિને ચંદ્ર લગભગ એક દિવસ અર્થાત્ ૨૨થી ૨૬ કલાક સુધી પુષ્ય નક્ષત્રમાં આવે છે. પરંતુ દર વખતે ગુરુવાર કે રવિવાર હોતો નથી. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ વખત આ પ્રકારનો ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ આવે છે. 

મંત્રસાધના માટે પુષ્યનક્ષત્રની સાથે રવિવાર કે ગુરુવાર શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ ગુરુવાર વધુ મહત્વનો ગણાય છે. ચંદ્રના પુષ્ય નક્ષત્ર પ્રવેશની કુંડળીમાં લગ્નમાં કેતુ હોવાથી દરેકે આરોગ્ય સંભાળવું. ભારતીય સૈન્ય સરહદે પરાક્રમ દાખવશે. ચોથા સ્થાને બુધ છે જ્યારે છઠ્ઠા સ્થાને રહેલ મંગળ નવમે રહેલ ચંદ્ર પર દ્રષ્ટિ કરે છે તેથી લક્ષ્‍મીયોગ પણ બને છે. આ દિવસે કરવામાં આવેલું કાર્ય લક્ષ્‍મીદાયક બની રહેશે. ચંદ્ર નવમાં સ્થાને સ્વગૃહી છે તેની ધર્મકાર્યો સારા એવા થશે. સામાન્ય રીતે ગુરુ જે સ્થાન કે ગ્રહ ઉપર દ્રષ્ટિ કરે તે સ્થાન કે ગ્રહ સંબંધી શુભ ફળ મળે છે, તેથી પત્ની કે ભાગીદારી સંબંધી શુભ ફળ મળે. વિદ્યાપ્રાપ્તિ અને સરસ્વતી દેવીની આરાધના માટે શ્રેષ્ઠ છે. બીજી તરફ પોષી પૂનમ તરીકે પણ આ દિવસ શ્રેષ્ઠ છે. સૂર્ય-ચંદ્ર સામ-સામે હોતાં શુભ ફળ આપનારું બને છે, તે રીતે પણ આ દિવસ અત્યંત શુભ છે. 

ઐશ્વર્ય અને વિદ્યાની પ્રાપ્તિ માટે શું કરવું? 

'આ દિવસે ગૃહસ્થોએ લક્ષ્‍મીની પ્રાપ્તિ માટે લક્ષ્‍મીની આરાધના કરવી. શ્રીસુક્તના અભિષેક દ્વારા પણ શ્રીયંત્રનું પૂજન કરી શકાય. આ ઉપરાંત 'ઓમ્ હૃીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ શ્રી હૃીં ઓમ્ મહાલક્ષ્‍મયૈ નમઃ' મંત્ર દ્વારા શ્રીયંત્રનું પૂજન કરી શકાય છે. જેમની કુંડળીમાં ચંદ્ર-રાહુનો ગ્રહણયોગ હોય તેમણે આ દિવસે ચંદ્રની ઉપાસના કરવી જોઇએ. જૈનોએ ઓં હૃીં અર્હં શ્રીચંદ્રપ્રભસ્વામિને નમઃ મંત્રનો જ્યારે અન્ય લોકોએ ઓં ચંદ્રમસે નમઃનો જાર કરવો જોઇએ. કોઇપણ પુસ્તક કે ગ્રંથરચનાનો પ્રારંભ કરવા માટે આ દિવસ સર્વશ્રેષ્ઠ છે. તે સાથે મંત્રવિદ્યા માટે પણ આ દિવસ સર્વોત્તમ છે.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution