ગાંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નિવૃત્ત આઇએએસ અધિકારી આઈ. કે. પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની દ્વારા આજે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે. આ નોટિફિકેશન દ્વારા રાજ્યના નિવૃત્ત આઇએએસ અધિકારી આઈ. કે. પટેલને સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેકટના ખાસ ફરજ પરના અધિકારી (ઓએસડી) તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકની મુદત એક વર્ષ સુધીની રહેશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધી મેમોરિયલ પ્રોજેકટના ઓએસડીની નિમણૂક અંગે કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ સરકારની નિવૃત્ત અધિકારીઓને નિમણૂક આપવાની નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.