લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુલાઈ 2021 |
2079
અમદાવાદ-
ધોરણ 12ના વર્ગ બાદ હવે ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવાની જાહેરાત થતા જ સ્કૂલો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાથી સ્કૂલમાં સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ કોરોનાના ડર વચ્ચે ચિંતિત વાલીઓ પોતાના બાળકો શિક્ષણમાં નબળા ના રહે તે માટે મજબૂરીમાં સ્કૂલે મોકલવા તૈયાર થયાં છે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાની ત્રીજી લહેરની ભીતી સેવાઈ રહી છે, વાલીઓમાં બાળકોને સ્કુલે મોકલવાનો ડર દેખાઈ રહ્યો છે, જોકે, ઓડ ઈવન પધ્ધતિથી જ બાળકોને ભણાવવામાં આવશે. કેટલાક વાલીઓના મનમાં કોરોનાનો ડર તો છે પરંતુ સારું શિક્ષણ મળે તે માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલશે. બાળકો સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલ દ્વારા પણ નિયમોનું પાલન કરાવવા આવશે. પરંતુ બેઠક વ્યવસ્થા અને અન્ય સાવચેતી રાખવામાં આવે તો બાળકોના હિતમાં રહેશે.