૪ ફેબ્રુઆરી સુધી શાહિબાગ અંડરપાસ રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી બંધ રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026  |   2178

અમદાવાદ, શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ૨૩ જાન્યુઆરીએ રાત્રે ૮ વાગ્યાથી ૨૮ જાન્યુઆરીની રાત્રે ૧૨ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે ફરીવાર આ અંડરપાસને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શુક્રવારથી આગામી ૪ ફેબ્રુઆરી સુધી આ અંડરપાસ રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. અંડરપાસ બંધ કરવાનો ર્નિણય લેવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ફરીવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આજથી આગામી ૪ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની પણ તૈયારી કરવામાં આવી છે.દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુભાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઇ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution