10 લાખ મહિલાઓને 0 ટકા વ્યાજે રાજ્ય સરકારે 1000 કરોડની લોન સહાય આપી છેઃ સરકાર
04, ઓગ્સ્ટ 2021 4653   |  

અમદાવાદ-

ગુજરાતમાં આજથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત થઈ છે. જેમાં મહિલાઓને વિના વ્યાજે લોન આપવામાં આવશે. આ યોજનાનો ઉદેશ માત્ર 0 ટકા વ્યાજથી લોન ઉપલબ્ધ કરાવવાનો જ નહીં પરંતુ મહિલાઓને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા અંગેનો છે. નાની-મોટી આર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત મહિલાઓ રોજબરોજના અર્થોપાર્જન હેતુ કોઇની પાસેથી વ્યાજે નાણાં લાવીને આર્થિક પ્રવૃત્તિઓ કરતી હોય છે, જેનું વ્યાજ ભરપાઇ કરવામાં જ તેમની તમામ કમાણી ચાલી જતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

લોન લેવા શું કરવું પડશે

મહિલાઓ માનભેર ઊભી રહે તે માટે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 10 બહેનોનું એક સખી મંડળ, એમ કુલ 10 લાખ 'સખી મંડળો' નિર્મિત કરીને પ્રત્યેક સખીમંડળને રૂા. 1 લાખની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવામાં આવશે. ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેક્ટ બનાવવો પડતો, બેંકમાં લોન મંજૂરી માટે આપવો પડતો અને પછી મહા મહેનતે લોન મળતી પરતુ હવે મંડળ નોંધાય કે તરત જ તેમને બેંક લોન આપે છે.

કઈ બેંકોમાં કરી શકાશે અરજી

આ યોજના માટે રાજ્યકક્ષાએ પાંચ બેંકો - ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, આઇ.સી.આઇ.સી.આઇ., એચ.ડી.એફ.સી. અને એક્સિસ બેંક દ્વારા આ યોજનામાં જોડાવા અંગેના MoU થયા છે.

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ

આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકાર દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવશે. આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution