રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાગઠિયાને સુપ્રીમની રાહત : જામીન મંજૂર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025  |   16335

રાજકોટ, રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ અપ્રમાણસર મિલકત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠના કારણે આ દુ:ખદ ઘટના બની હતી. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતનાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.આ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ રેગ્યુલર જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા રદ કરાતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યાે છે. પરંતુ અપ્રમાણસર મિલ્કત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution