લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2024 |
4158
નવી દિલ્હી: ભારતીય ટીમ 13 વર્ષના આઇસીસી ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરવા ટી-૨૦ વર્લ્ડકપ 2024માં રમી રહી છે. ભારતે પોતાની પ્રથમ સુપર-8 મેચ અફઘાનિસ્તાન સામે જીતી લીધી છે. હવે તે ટી-૨૦ વર્લ્ડની ઝળહળતી ટ્રોફી ઉપાડવાથી માત્ર 4 જીત દૂર છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આ ટ્રોફી પર કબજો કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જો કે, ભારતીય ટીમમાં એવા ખેલાડીનો પણ સમાવેશ થાય છે જે તેમને ટી-૨૦ વર્લ્ડ કપમાં જીતની ખાતરી આપે છે. વર્લ્ડ નંબર-1-ટી -૨૦ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-૨૦ વર્લ્ડકપ 2024માં ભારત માટે ટ્રમ્પ કાર્ડ છે. આ શક્તિશાળી જમણા હાથના બેટ્સમેનનું બેટ ટી-૨૦ વર્લ્ડ કપમાં ખૂબ ગર્જના કરે છે અને ટીમ ઈન્ડિયાને જીતની ખાતરી આપે છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં સૂર્યાનો રેકોર્ડ શાનદાર છે. તેણે 13 ઇનિંગ્સમાં 49.12ની શ્રેષ્ઠ રન એવરેજ અને 161ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ સાથે કુલ 393 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કરોડરજ્જુ છે અને મિડલ ઓર્ડરમાં બેટિંગને મજબૂતી પૂરી પાડે છે. સૂર્યાએ ઘણી વખત ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવીને મેચો જીતી છે. ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8 મેચમાં ભારતનો સ્કોર (60/3) હતો. સૂર્યાએ ટીમને આ સ્થિતિમાંથી બચાવી હતી અને 29 બોલમાં શાનદાર અડધી સદી ફટકારીને ભારતના સ્કોરને 181 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના 125 કરોડથી વધુ ચાહકોને સૂર્યકુમાર યાદવ પાસેથી ટી-૨૦ વર્લ્ડ કપની ટ્રોફીની જરૂર છે. વિસ્ફોટક બેટિંગ કરીને ભારતને આગામી મેચોમાં જીત અપાવવાની જવાબદારી સૂર્યાના ખભા પર રહેશે. જ્યારે ભારતે 2007માં પહેલો ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઓલરાઉન્ડર યુવરાજ સિંહના માથે જીતનો તાજ હતો.