લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1782
ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહીમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ ૯૨ ટકા વરસાદની આગાહી હતી, જે હવે ઘટાડીને લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૯૦ ટકા કરવામાં આવતા દેશમાં ચિતા ફેલાઈ છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા દેશના લાખો ખેડૂતો અને અર્થતંત્ર માટે અત્યંત ચિતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ - એટલે કે નૈઋત્યના ચોમાસા માટે અગાઉ કરવામાં આવેલી ૯૨ ટકાની આગાહીને ઘટાડીને હવે લોંગ પિરિયડ એવરેજ (એલપીએ) ના ૯૦ ટકા કરી દેવામાં આવી છે. આ બે ટકાનો ઘટાડો સીધી રીતે સૂચવે છે કે આ વર્ષે ચોમાસું દેશમાં સામાન્ય કરતાં વધુ નબળું રહેશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ હવામાન એજન્સીઓના આંકડાઓ અને વૈશ્વિક અહેવાલો પણ આ જ ખતરા તરફ ઈશારો કરી રહ્યા છે. ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી અલ નીનોની પ્રતિકૂળ અસર અને તાપમાનમાં થઈ રહેલા સતત ફેરફારોને કારણે વરસાદની સાયકલ ખોરવાઈ છે. ભારતની અડધાથી વધુ ખેતી સંપૂર્ણપણે વરસાદ પર ર્નિભર હોવાથી, આ આગાહી ગ્રામીણ અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. ૯૦ ટકા વરસાદનો સીધો અર્થ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત સહિતના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિ નિર્માણ પામી શકે છે.
નદીઓ અને ડેમોમાં પાણીની આવક ઘટવાથી પીવાના પાણીની પારાવાર અછત ઊભી થવાની ભીતિ છે. વરસાદ ખેંચાવાને કારણે ખરીફ પાકોના વાવેતર અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. તેની સીધી અને ગંભીર અસર બજારમાં અનાજ, કઠોળ, તેલીબિયાં અને રોજિદા શાકભાજીના ભાવો પર પડશે, જેનાથી મોંઘવારીનો ગ્રાફ નવી ટોચ પર પહોંચી શકે છે.
આર્થિક વિકાસ દર જાળવી રાખવા માટે સરકાર અને રિઝર્વ બેંક માટે આ એક મોટો પડકાર બની રહેશે. હાલમાં હવામાન વિભાગ સક્રિય રીતે પવનની દિશા અને અન્ય પરિબળો પર નજર રાખી રહ્યું છે અને આગામી દિવસોમાં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ
માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.