રાજકોટ-

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરજની બિલ્ડિંગની બાલ્કનીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો, જેના કારણે સ્લેબ નીચે રહેલ ત્રણથી ચાર દુકાનો દટાઈ ગઈ હતી. જ્યારે આ દુકાનમાં રહેલા 5થી 7 લોકો પણ દટાયા હતા. જોકે, આ ઘટનમાં કોઈ જાનહાની નથી થઈ. અત્યારે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્લેબ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, અત્યારે આ વિષય સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. 

યાગ્નિક રોડ ઉપર આવેલા ધનરજની બિલ્ડિંગનો સ્લેબ પડી જવાની ઘટના સામે આવતા યાજ્ઞિક રોડ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસના ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમારે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જ્યારે કોર્પોરેશન દ્વારા પણ આ બિલ્ડીંગ કેટલા વર્ષ જૂનું છે, તેમ જ બિલ્ડિંગ પાસે NOC છે કે નહીં સહિતના કાયદેસરના દસ્તાવેજો છે કે કેમ તે સમગ્ર મામલે પણ તપાસ શરૂ કરી છે.

બિલ્ડીંગની બાલ્કનીનો સ્લેબ પડી ભાંગવાની ઘટનાને પગલે હાલ વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.બાલ્કનીનો સ્લેબ પડી ભાગવાની ઘટનાના કારણે અહીં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે 5થી 7 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાલ્કનીનો સ્લેબ પડવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 3થી 4 દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું. આ દુકાનની અંદર જે ગ્રાહકો હતા તે પણ ફસાઈ ગયા હતા. જોકે, સ્થઆનિકોએ ગ્રાહકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.