ગત વર્ષની તુલનામાં આ વર્ષે રાજ્યમાં ક્ષેત્રવાર ૯ ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026  |   1881

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન- પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૩ મે ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯.૭૫ ટકા એટલે કે ૫.૩૨ લાખ મિલિયન ક્યુબિક ફીટ-એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૯.૦૪ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧૨.૧૮ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ ૭૨.૩૩ ટકાથી વધુ એટલે કે ૨.૪૧ લાખ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં ૫૯.૫૨ ટકા એટલે કે, ૪૯,૩૩૮ એમસીએફટી પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૪.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૯.૧૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૪૩.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૭.૧૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ એમસીએફટી એટલે કે ૫૯.૭૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૩ મે, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૩૨.૩૫ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૯.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૧.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૨.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૩.૬૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨ લાખ એમસીએફટીથી વધુ એટલે કે ૬૦.૧૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૪.૫૨ લાખ એમસીએફટી એટલે કે ૫૦.૭૧ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution