લખનૌ-

અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં ગોટાળાના આરોપનો મુદ્દો સતત ઉગ્ર બની રહ્યો છે. આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સતત આ મુદ્દે આરોપો લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ આ મુદ્દે તમામ આરોપોનો જવાબ આપ્યો છે.

કેશવ પ્રસાદ મૌર્યના કહેવા પ્રમાણે જેમના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે તેઓ સલાહ ન આપે. જાે કોઈ આરોપ લાગ્યો છે તો તેની તપાસ થશે. જાે કોઈએ ગરબડ કરી છે તો તેના વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. રામ મંદિરનું નિર્માણ સતત ચાલી રહ્યું છે, બહારના લોકો સલાહકાર ન બને.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલ આરોપો લાગ્યા છે અને હવે તપાસ થશે. જાે કોઈ દોષી ઠેરવાશે તો એક્શન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જમીન ખરીદી વિવાદ મુદ્દે યુપી સરકાર કે બીજેપીના કોઈ મોટા નેતા તરફથી આ પહેલું રિએક્શન સામે આવ્યું છે. સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવી દીધું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે આ મુદ્દે ટ્‌વીટ કરી હતી. પ્રિયંકાએ લખ્યું હતું કે, કરોડો લોકોએ આસ્થા અને ભક્તિભાવથી ભગવાનના ચરણોમાં ચઢાવો ચડાવ્યો. તે ફાળાનો દુરૂપયોગ થાય તે અધર્મ છે, પાપ છે, તેમની આસ્થાનું અપમાન છે.