રાજપીપળા, તા.૧૨

ગુજરાતમાં ભાજપના જ નેતાઓ સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી રહ્યા છે.હાલમાં જ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે નલ સે જલ યોજનામાં જ્યારે ભરત કાનાબારે અમરેલી આરટીઓ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવ્યા છે ત્યારે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભડાત મચ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ ૨૦૨૩ ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓએ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા.પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓના મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવી અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓને અનુકૂળ, ગાઈડલાઈનમાં સુધારો કર્યો.હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, ડીઆરડી નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેમણે ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.